મૃતકોના પરિવારને 4- 4 લાખની સહાય: એકે રાકેશને તપાસ સોંપી
- (હમલોગ.ન્યૂઝ દ્વારા)
શહેરની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરકાર તરફથી રૂપિયા ચાર-ચાર લાખ સહાય ચૂકવવાનું જાહેર કર્યું છે. તેમણે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇને તપાસ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને સુપ્રત કરી છે. કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ જેટલા દર્દીઓએ અચાનક ફાટી નીકળેલી આગમાં જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવી ઘટનાના જવાબદારો સામે કડક પગલા લેવા સૂચના આપી છે. શ્રી એ.કે. રાકેશ અગાઉ રાજકોટમાં કલેકટર પદે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ આગ લાગવાના કારણો, હોસ્પિટલમાં બચાવના સાધનો વગેરે બાબતોની જાત તપાસ કરીને ટુંક સમયમાં સરકારને વિસ્તૃત અહેવાલ સુપ્રત કરશે. તેના આધારે સરકાર કાયદાકીય પગલા ભરશે. હોસ્પિટલની ઘટનાએ અરેરાટી જગાવી છે.